જ્યારે સ્ત્રી અને પુરુષ લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે તેને આ સંબંધ સાથે ઘણી બધી આશાઓ હોય છે. લવ મેરેજ હોય અથવા અરેન્જ મેરેજ, શરુઆતમાં દરેક લોકોને તે સમજવામાં થોડો સમય લાગે છે કે આ સંબંધ કેવો હોવો જોઈએ. ઘણા લોકો વિચારે છે કે પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ અને પ્રેમ જ ઘણો છે. તે પણ સાચું છે, પરંતુ આ ઉપરાંત પણ પતિ-પત્નીના સંબંધમાં ઘણી બીજી વસ્તુઓ જરૂરી છે. ફક્ત ગુજરાતીના આ લેખમાં અમે જણાવીશું કે પતિ-પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ.
સૌપ્રથમ આપણે જાણીશું કે વૈવાહિક જીવનનો અર્થ શું હોય છે.
વૈવાહિક જીવન શું છે?
જ્યારે કોઈ સ્ત્રી અને પુરૂષ બંને કાનૂની અને ધાર્મિક રૂપે એક સાથે રહેવાનું વચન આપ્યા પછી લગ્નના બંધનમાં બંધાય છે, તો તેને વૈવાહિક જીવનનું નામ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં લગ્નને સોળ સંસ્કારોમાંથી એક માનવામાં આવે છે, જેમાં બે વ્યક્તિ જીવનભર સાથે રહેવાનું વચન આપે છે. પરંતુ, લગ્નના બંધનમાં બંધાવા માટે છોકરા અને છોકરીનું પુખ્ત હોવું પણ ખૂબ જરૂરી છે.
પ્રેમ,ત્યાગ, એકબીજાની ચિંતા, વિશ્વાસ અને એકબીજાનો જીવનભર સાથ નિભાવવા જેવી જવાબદારીઓ વૈવાહિક જીવનનો ભાગ હોય છે. સંશોધનનું માનીએ તો જો વૈવાહિક જીવનમાં પ્રેમ, પરસ્પર સમજણ, એક બીજા પ્રત્યે ચિંતા, એક બીજાના પરિવાર પ્રત્યે માન-સમ્માન, થોડા ઘણા સમાધાન, વિશ્વાસ હોય તો વૈવાહિક જીવન સુખી થઈ શકે છે. પરંતુ, ધ્યાન રહે તે પતિ પત્ની બંને તરફથી હોવું જોઈએ.
પતિ અને પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ?
પતિ-પત્નીનો સંબંધ મજબૂત હોવાની સાથે નાજુક પણ હોય છે. આ સ્થિતિમાં જીવનભર આ સંબંધને નિભાવવો સરળ હોતો નથી. તેથી, પતિ-પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ, તેના વિશે નીચે જાણકારી આપી રહ્યા છીએ:
1. વિશ્વાસ થી ભરેલો
દરેક સંબંધમાં વિશ્વાસ હોવો ખુબ જરૂરી છે. વિશ્વાસ અને ભરોસો પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. બન્નેની વચ્ચે જેટલો વિશ્વાસ હશે એટલો સંબંધ ગાઢ અને મજબૂત થાય છે. લગ્ન પછી દરેક યુગલના નવા જીવનની શરૂઆત થાય છે. શંકા સંબંધ ને નબળો બનાવી શકે છે. આ સ્થિતિમાં બંનેએ એક બીજા પ્રત્યે વિશ્વાસ જાળવી રાખવો જોઈએ.
2. એક બીજા માટે આદર
પતિ-પત્નીના સંબંધમાં એકબીજા પ્રત્યે આદર ખૂબ મહત્વનો હોય છે.તેની સાથેજ જો તે એકબીજાના સ્નેહીજનો, સગા-સંબંધીઓનું સન્માન કરશે, તો તેઓનો એકબીજા પ્રત્યે આદર સાથે પ્રેમ પણ વધે છે. ઘણી વાર એવું જોવા મળે છે કે પતિ પોતે પત્ની પાસેથી આદરની આશા રાખે છે, પરંતુ પોતે પત્નીને આદર આપતો નથી. તેમ થવું જોઈએ નહિ. આ સંબંધમાં બંને સમાન આદરને પાત્ર છે. પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ત્યારે જ ટકી શકે જ્યારે એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર હોય.
3. ભાવાનાઓની કદર
જ્યારે પતિ-પત્ની બંને એકબીજાની ભાવનાઓનું ધ્યાન રાખે છે, તો તેમના સંબંઘ તેની જાતે સુધરવા લાગે છે. જો કે, ઘણા લોકો આ વાત પર એટલું ધ્યાન આપતા નથી. જો સંબંધોમાં ભાવનાઓની કદર ન હોય તો પતિ-પત્ની વચ્ચે અણબનાવ થવાની સંભાવના વધી શકે છે. દરેક વ્યક્તિના પસંદ, વિચાર, જીવનશૈલી અલગ-અલગ હોય છે, જેના કારણે ઘણી બાબતો વિશે પતિ-પત્નીના વિચારો અલગ-અલગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં જો આપણે એકબીજાની ભાવનાઓને સમજીએ તો બંનેમાં પ્રેમ જળવાઈ રહેશે અને સંબંધ પણ ગાઢ બનશે.
4. સંબંધમાં પારદર્શિતા
પતિ-પત્ની વચ્ચેના સંબંધ ત્યારે બગડવા લાગે છે જ્યારે તેઓ પોતાના મનની વાત એકબીજા સાથે શેર કરતા નથી. ઘણી વાર સ્ત્રીઓ તેના મનની વાત પતિની સામે કરતા અચકાય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં પતિ પણ પોતાની લાગણી વ્યક્ત કરવામાં અચકાય છે. તેનાથી સંબંધમાં એક કચાશ આવે છે, જે થોડા સમય પછી એકબીજાને અધૂરાપણાનો અનુભવ અપાવે છે. આ અધુરાપણુ એ સારા સંબંધનો સંકેત નથી. તેથી પતિ-પત્ની વચ્ચે ક્યારેય કંઈપણ છુપુ હોવું જોઈએ નહીં. દરેક વસ્તુને લઈને બંનેમાં પારદર્શિતા હોવી જોઈએ.
5. મનાવવાની કળા
પતિ-પત્નીમાં નાના મોટા ઝઘડા થવા એ સામાન્ય બાબત છે, પરંતુ ઘણી વાર આ ઝઘડામાં બંનેમાંથી કોઈ એક નારાજ થઈ જાય છે. તેવા સમયમાં, બીજી વ્યક્તિ પણ ગુસ્સે રહેશે, તો તેનાથી સંબંધોમાં અંતર આવી શકે છે.તેથી સામેવાળાએ સમજદારીથી વર્તન કરવું જોઈએ. જીવનસાથી સાથે બેસીને ઝઘડાનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
6. ક્વોલિટી ટાઈમ
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે તે પોતાના માટે સમય કાઢી શકતા નથી. તે સંબંધમાં અંતરનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં પતિ-પત્ની પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને ક્યાંક ફરવાનું પ્લાન કરી શકે છે. થોડા સમય માટે તણાવથી દૂર રહી એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાથી સંબંધોમાં નવીનતા જળવાઈ રહેશે.
7. ખોટું બોલવાનું ટાળો
ખોટું ઉધય સમાન હોય છે, જે કોઈપણ સંબંધના પાયાને નબળો કરી દે છે. જે સંબંધમાં જૂઠાણાએ તેમનો પડાવ બનાવી દીધો હોય, તે સંબંધ લાંબો સમય સુધી ટકતો નથી. એક ખોટી વાત છુપાવવા માટે જીવનસાથીને ઘણી ખોટી વાત બોલવી પડે છે. તેથી, પતિ-પત્નીના સંબંધોમાં ખોટી વાતનું કોઈ સ્થાન હોવું જોઈએ નહિ.
8. પ્રશંસા કરવામાં કંજુસાઈ ન કરો
એકબીજા સાથે સાત જન્મ સાથે રહેવાના સોગંદ ખાઈ શકીએ છીએ, તો પછી વખાણ કરવામાં કંજૂસાઈ કેમ કરવી. કેટલાક લોકો તેમના જીવનસાથીની સારી વાતોની મન ખોલીને પ્રશંસા કરી શકતા નથી. તેમણે તે સમજવું પડશે કે સંબંધને મજબૂત બનાવી રાખવામાં શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો તેમ કરવું એ તેની ટેવ નથી, તો તેમણે તેમના સંબંધને જાળવી રાખવા માટે તેના પર કામ કરવું જોઈએ. આ માટે જીવનસાથી દ્વારા કરવામાં આવેલા સારા કામ માટે તેમની ખુશામત કરો. તમારા જીવનસાથીને જણાવો કે તેમના આવવાથી તમારું જીવન કેટલું બદલાઈ ગયું છે. તેની સુંદરતાની સાથે તેની આંતરિક સુંદરતાની પણ પ્રશંસા કરો.
9. હળી મળીને ઘરનું કામ કરો
પતિ-પત્ની બંનેએ એકબીજા પ્રત્યે હેલ્પીંગ નેચર રાખવો જોઈએ. માન્યું કે પત્ની ઘરના કામકાજ સંભાળે છે તો પતિ ઓફિસે જાય છે. તેનો અર્થ એ નથી કે પતિ ઘરના કામમાં મદદ કરી શકતા નથી. આમ પણ, ઘણા ઘરોમાં તો પતિ-પત્ની બંને કામ પર જાય છે. આવી સ્થિતિમાં ઘરના કામ બંનેએ હળી મળીને કરવા જોઈએ. તેનાથી કોઈપણ એક વ્યક્તિ પર કામનું દબાણ આવશે નહીં અને બંનેને એકબીજા સાથે વધુ સમય પસાર કરવાની તક પણ મળે છે.
10. નાની નાની વસ્તુઓમાં આનંદ શોધવો
જીવનમાં સુખ-દુઃખ તો આવતા જ રહે છે, પરંતુ કેટલીકવાર ઘણા લોકો મુશ્કેલીઓને કારણે હંમેશા દુ:ખી રહેવા લાગે છે. તેની અસર તેના અંગત જીવન પર પણ પડવા લાગે છે. આવી પરિસ્થિતિઓમાં મૌન રહેવાને બદલે તમારું દુઃખ તમારા જીવનસાથી સાથે શેર કરવુ જોઈએ. તેનાથી તમારી મુશ્કેલીઓમાં તમારો સાથ આપવા માટે તમારા જીવનસાથી તમારી પાસે હશે. એક સારો સંબંધ એવો હોય છે જેમાં જીવનસાથી કોઈપણ સંકોચ વગર પોતાની સમસ્યાઓ શેર કરી શકે.
11. વિવાદોને પ્રોત્સાહન ન આપો
ઘણા લોકો એવા હોય છે જે ઝઘડા દરમિયાન જૂની વાતોને વચ્ચે લાવે છે. જેના કારણે સામેની વ્યક્તિને ગંભીર ઈજા થઈ શકે છે. જૂની વાતને વચ્ચે લાવવી આર ખોટું છે. સારા કપલ્સનું કામ એ છે કે તેઓ જૂની વાતોને પરસ્પર મતભેદ કે ઝઘડાનું કારણ ન બનવા દે. એવી બાબતો જે યાદ કરવાથી પરસ્પર વિવાદ વધે છે, તેને ભૂલી જવામાં જ સમજદારી છે.
12. ક્ષમા માંગવામાં અને ક્ષમા કરવામાં પાછળ ન રહો
ઘણીવાર યુગલો વચ્ચે અણબનાવ બને છે અને ક્ષમા માંગતી વખતે તેમનો અહંકાર સામે આવે છે. જેના કારણે સારા સંબંધોમાં અંતર વધવા લાગે છે. સંબંધને સારો બનાવવા માટે, ક્ષમા માંગવામાં પાછળ ન રહેવું. તમારી ભૂલોનો સ્વીકાર કરો અને માફી માંગીને ઝઘડાનો અંત કરવો જોઈએ. તેમજ જો સામેવાળી વ્યક્તિની ભૂલ હોય તો તેને ક્ષમા કરી દેવો જોઈએ.
13. પરસ્પર સમજણ જાળવી રાખો
સંબંધોને જાળવી રાખવા માટે બંને જીવનસાથી વચ્ચે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. ઘણીવાર આજુબાજુ એવી પરિસ્થિતિઓ હોય છે, જેના કારણે પતિ-પત્ની વચ્ચે અણબનાવ થઈ શકે છે. આવા સમયે વ્યક્તિએ સંયમ અને પ્રેમથી વર્તવું જોઈએ. ગુસ્સો નહિ સમજણ બતાવો. તમારી સામેવાળી વ્યક્તિની સમસ્યાને સમજો. વળતા જવાબ ન આપો, તેનાથી વિવાદ વધી શકે છે.
14. મહત્વ આપો
જ્યારે સામેવાળી વ્યક્તિની કોઈ વાતને મહત્વ આપવામાં આવતું નથી ત્યારે ઘણીવાર સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. આ પુરૂષપ્રધાન સમાજમાં ઘણી વખત એવું જોવા મળે છે કે ઘરના મોટાભાગના નિર્ણયો પુરુષો જ લેતા હોય છે, પરંતુ તેમ થવું જોઈએ નહિ. જીવનના દરેક નિર્ણયમાં પતિ-પત્ની બંનેનો સમાન અધિકાર છે. તેથી, તમારા દરેક નિર્ણયમાં તમારા જીવનસાથીને સામેલ કરો. તેમના અભિપ્રાય પર પણ ધ્યાન આપો. એક સારો સંબંધ એ જ હોય છે, જેમાં પતિ-પત્ની બંને એકબીજાને મહત્વ આપે છે.
15. એકબીજાની કાળજી કરો
પતિ-પત્ની વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે એકબીજાની કાળજી લેવી પણ જરૂરી છે. આ માટે એકબીજાની પસંદ નાપસંદનું ધ્યાન રાખવું જોઈએ. તેનાથી સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવશે કે તમે તેમની કેટલી કાળજી રાખો છો. સાથેજ તમારો સંબંધ વધુ મજબૂત અને ગાઢ થતો જશે.
16. અહંકારને ઘરની બહાર રાખો
કોઈપણ સંબંધમાં અહંકાર એટલે કે ઇગો આવવાથી ચોક્કસપણે તેનો નાશ કરે છે. આવી સ્થિતિમાં પતિ-પત્નીના આ નાજુક સંબંધોમાં અહંકારને કોસો દૂર રાખવો જોઈએ. આનાથી સારા સંબંધોમાં પણ અંતર પડી શકે છે.
17. દરેક મુશ્કેલ સમયમાં સાથ આપો
જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. કોઈનો સમય ક્યારેય એકસરખો હોતો નથી. ક્યારેક કોઈ શારીરિક રૂપે તો કોઈ આર્થિક રૂપે પરેશાન થઈ શકે છે. કેટલીકવાર કોઈને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. એક સારો અને મજબૂત સંબંધ એ હોય છે જેમાં એક જીવનસાથી તેના ખરાબ સમયમાં બીજા જીવનસાથીનો સાથ છોડે નહીં, પરંતુ તેની હિંમત બને.
18. રોમાન્સ પણ જરૂરી છે
ઘણીવાર એવું જોવા મળે છે કે લગ્નના શરૂઆતના થોડા સમય સુધી પતિ-પત્ની વચ્ચે ઘણો રોમાંસ હોય છે, પરંતુ સમય જતાં તે ફિક્કો પડવા લાગે છે. એક સુંદર સંબંધ પ્રેમ સાથે રોમાંસથી પણ ભરેલો હોવો જોઈએ. રોમાન્સ પતિ-પત્ની વચ્ચે ઈમોશનલ બોન્ડિંગ લાવવાની સાથે જ સંબંધને મજબૂત બનાવે છે.
19. સામેવાળી વ્યક્તિની વાતને ધ્યાન આપો
સુખી દામ્પત્ય જીવન માટે પતિ-પત્નીએ એકબીજાની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. ઘણી વખત જ્યારે સામેવાળી વ્યક્તિની વાત ધ્યાનથી ન સાંભળવામાં આવે તો તે સંબંધમાં અંતર નું કારણ બની શકે છે. તેથી હંમેશા તમારા જીવનસાથીની વાત પર ધ્યાન આપવું જોઈએ. તેનાથી સંબંધોમાં કોઈ ગેરસમજણ માટે કોઈ જગ્યા રહેતી નથી.
20. સારા મિત્ર બનો
પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ, આદર અને રોમાંસની સાથે મિત્રની જેમ સારી સમજણ હોવી પણ જરૂરી છે. મિત્રતાનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. જો પતિ-પત્ની વચ્ચે મિત્રતાનો સંબંધ હોય તો બંને એકબીજાને સારી રીતે સમજી શકશે. બંનેની સમજણ સારી રહેશે અને તેનાથી સંબંધ પણ મજબૂત બને છે. જો પતિ-પત્ની વચ્ચે મિત્રતાનો સંબંધ હોય તો તેમનું જીવન વધુ સુખી બની શકે છે.
પતિ-પત્નીનો સંબંધ કાચા દોરા જેવો હોય છે, પરંતુ જો તેમાં પ્રેમ ઊંડો હોય તો આ સંબંધના દોરાને કોઈ તોડી શકતું નથી. દરેક પતિ-પત્ની સુખીથી પોતાનું લગ્નજીવન વીતાવવા ઈચ્છે છે, પરંતુ પતિ-પત્ની વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ, આ વાતથી ઘણા લોકો અજાણ હોય છે. આવી સ્થિતિમાં, આ લેખમાં સારા પતિ અને પત્ની કેવી રીતે બનવું તે સંબંધિત ટિપ્સ આપવામાં આવી છે, જેને અપનાવીને દાંપત્ય જીવનને સુખી બનાવી શકાય છે. સંબંધ સંબંધિત વધુ માહિતી માટે, ફક્ત ગુજરાતી વેબસાઈટ પરના અન્ય લેખો વાંચો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “પતિ-પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ??? જાણો આ લેખમાં”